નડિયાદના વિશ્વપ્રસિદ્ધ સંતરામ મંદિર ખાતે રવિવારે મહાસુદ પૂનમના પવિત્ર દિવસે શ્રદ્ધા અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. અવધૂત સંતરામ મહારાજની ૧૯૫ વર્ષ જૂની પરંપરાને જાળવી રાખીને હજારો મણ સાકર અને સુકા ટોપરાની વર્ષા કરવામાં આવી હતી.
આ દિવ્ય ક્ષણના સાક્ષી બનવા માટે નડિયાદ શહેર સહિત સમગ્ર ગુજરાત અને દેશ-વિદેશમાંથી લાખો ભક્તો ઉમટી પડ્યા હતા. વહેલી સવારથી જ મંદિરના દ્વારે લાંબી કતારો જોવા મળી હતી. આખું નડિયાદ શહેર ‘જય મહારાજ’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું અને ભક્તોએ પ્રસાદી રૂપી સાકર ઝીલીને ધન્યતા અનુભવી હતી.

























