ભારે વરસાદ અને આંધી-તોફાનના એલર્ટ વચ્ચે ઉત્તરાખંડમાં કેદારનાથ યાત્રા અસ્થાયી રીતે રોકવામાં આવી છે. ચારધામ યાત્રાના મુખ્ય સ્થળોએ સતત ભારે વરસાદ વરસી રહ્યો હોવાથી યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર સતર્ક બન્યું છે. આ દરમિયાન પૂરના પાણીથી છલકાયેલી નદીમાં ફસાયેલા લગભગ 50 લોકોને બચાવ દળોએ સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. બીજી તરફ ભારે ભીડ અને વરસાદને કારણે બદ્રીનાથ નેશનલ હાઈવે પર લાંબા ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા છે. અત્યાર સુધીમાં 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓ કેદારનાથ પહોંચી ચૂક્યા હોવાથી માર્ગો પર વાહનોની ભારે અવરજવર જોવા મળી રહી છે. ઉત્તરાખંડના જોશીમઠ વિસ્તારમાં તો લગભગ 20 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાતા યાત્રાળુઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.