ભર ઉનાળામાં ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર પલટો આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે 18 માર્ચથી 20 માર્ચ સુધી રાજ્યના 20થી વધુ જિલ્લાઓમાં કમોસમી માવઠાનું એલર્ટ જાહેર કર્યું છે. માવઠાની શક્યતાને કારણે ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે, કારણ કે પાકને નુકસાન થવાની ભીતિ છે. આગાહી મુજબ આવતીકાલથી રાજ્યમાં મહત્તમ તાપમાન અંદાજે ચાર ડિગ્રી સુધી ઘટી શકે છે. વારંવાર સર્જાતા પશ્ચિમી વિક્ષેપના કારણે ઉનાળામાં પણ ચોમાસા જેવો માહોલ સર્જાઈ રહ્યો છે. 18 માર્ચે કચ્છ, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદ પડી શકે છે, જ્યારે દેવભૂમિ દ્વારકા, જામનગર અને મોરબી જિલ્લામાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 19 માર્ચે રાજ્યના કુલ 22 જિલ્લાઓમાં માવઠાની આગાહી કરવામાં આવી છે.