બનાસકાંઠા: ધાનેરામાં લક્ઝરી બસમાં વિકરાળ આગમાં એકનું મોત
બનાસકાંઠા જિલ્લાના ધાનેરા વિસ્તારમાં નેનાવા બોર્ડર નજીક લક્ઝરી બસમાં વિકરાળ આગ લાગવાની દુર્ઘટના સામે આવી છે. રાજસ્થાનથી અમદાવાદ જઈ રહેલી બસમાં અચાનક આગ ભભૂકી ઊઠતાં મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ બસમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તરત જ સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ દુર્ઘટનામાં 7 મુસાફરો ઘાયલ થયા હતા, જેમાંથી એકનું સારવાર દરમિયાન મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે અન્ય 6 ઘાયલોને વધુ સારવાર માટે ધાનેરાની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે




































































































































































