દેશમાં “વન નેશન, વન ઇલેક્શન” અમલીકરણને લઈને કેન્દ્ર સરકારની કવાયત વધુ તેજ બની રહી છે. આ મુદ્દે ચર્ચા અને સૂચનો મેળવવા માટે સંસદીય સમિતિનું ડેલિગેશન આજથી બે દિવસીય ગુજરાત મુલાકાતે આવી રહ્યું છે. JPCના સભ્યો અને વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં વિવિધ બેઠકો યોજાશે, જેમાં આજે બપોરે અઢી વાગ્યાથી ચર્ચાનો દોર શરૂ થશે. બેઠક દરમિયાન મુખ્ય સચિવ સહિત 8 ઉચ્ચ અધિકારીઓ દ્વારા ગુજરાત સરકારનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે. ગુજરાત સરકારે પહેલેથી જ “વન નેશન, વન ઇલેક્શન”ને સમર્થન આપ્યું હોવાનું માનવામાં આવે છે. આવતીકાલે ડેલિગેશન રાજ્યના મુખ્યમંત્રી, સાંસદો અને ધારાસભ્યો સાથે મહત્વપૂર્ણ ચર્ચા કરશે. ઉપરાંત વિવિધ સંસ્થાઓના વડાઓ અને સામાજિક આગેવાનો સાથે પણ મુલાકાત યોજાશે. ગુજરાતમાં “વન નેશન, વન ઇલેક્શન” મુદ્દે યોજાતી આ પ્રથમ સત્તાવાર બેઠકને રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.




























































