બનાસકાંઠાના દાંતા તાલુકામાં આવેલા પૌરાણિક અંબાજી માતાના મંદિરમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ મંદિરની છત તેમજ બાજુમાં આવેલી ફિલ્મ સિટીના અંબા મહેલ સુધી ફેલાઈ ગઈ હતી. મંદિરની પાછળ આવેલા ફિલ્મ સિટીના અનેક ઓરડાઓ આગની ચપેટમાં આવતા ભારે નુકસાન થયું હતું. દાંતામાં પૂરતી ફાયર સુવિધાનો અભાવ હોવાને કારણે આગે થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને અનેક ઓરડાઓ બળીને ખાખ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં અંબાજીથી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. હાલ આગ કયા કારણોસર લાગી તે અંગે તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.