અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ આગ, ફાયર વિભાગે 3 કલાક બાદ કાબૂ મેળવ્યો
અમદાવાદના નરોડામાં આવેલ મુક્તિધામ નજીકના અમરનાથ એસ્ટેટમાં ગુરૂવારે (પાંચમી ફેબ્રુઆરી) મોડી રાત્રે એક અગરબત્તીના કારખાનામાં અચાનક આગ ફાટી નીકળી હતી. રાત્રે અંદાજે 11.30 વાગ્યાની આસપાસ લાગેલી આ આગ જોતજોતામાં એટલી વિકરાળ બની ગઈ હતી કે આખું કારખાનું તેની ઝપેટમાં આવી ગયું હતું. અગરબત્તીનો જથ્થો જ્વલનશીલ હોવાથી આગ ઝડપથી ફેલાઈ હતી અને તેના ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોઈ શકાતા હતા. સદનસીબે, ફેક્ટરી સાંજથી જ બંધ હોવાથી અંદર કોઈ કારીગર હાજર નહોતા, જેના કારણે એક મોટી જાનહાની ટળી છે.




















