અમદાવાદ શહેરમાં ઈમરજન્સી સ્થિતિ દરમિયાન નાગરિકોને એલર્ટ કરવા માટે ઉપયોગમાં લેવાતા સાયરનનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. નવા સાયરન ખરીદવા પહેલાં નાગરિક સંરક્ષણ તંત્ર દ્વારા તેની કામગીરી તપાસવા માટે આ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. સવારે આઠથી દસ વાગ્યા દરમિયાન સમયાંતરે સાયરન વગાડીને પરીક્ષણ કરાયું હતું. લાલદરવાજા ખાતે આવેલી હોમગાર્ડ કચેરી પર આ પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેના કારણે આસપાસના વિસ્તારોમાં સાયરનનો અવાજ સંભળાયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે પરીક્ષણ સફળ રહેશે તો આગળ નવા સાયરનોની ખરીદી કરવામાં આવશે. આ પ્રકારના સાયરનનો ઉપયોગ આપત્તિ અથવા ઈમરજન્સી જેવી પરિસ્થિતિમાં લોકોને ચેતવણી આપવા માટે કરવામાં આવે છે.





















