જૂનાગઢ: ગરવા ગિરનારની ગોદમાં આગામી ૧૧ ફેબ્રુઆરીથી ૧૫ ફેબ્રુઆરી દરમિયાન ઐતિહાસિક મહાશિવરાત્રીનો મેળો યોજાવા જઈ રહ્યો છે. આ વર્ષે મેળો વિશેષ બની રહેશે કારણ કે રાજ્યના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પોતે મેળાના પ્રથમ દિવસે અને સમાપન દિવસે જૂનાગઢમાં ઉપસ્થિત રહેશે.
૧૧ ફેબ્રુઆરીના રોજ સાંજે ૫ કલાકે હર્ષ સંઘવી ભવનાથ પહોંચશે, જ્યાં તેઓ વિવિધ અખાડાઓની મુલાકાત લઈ સાધુ-સંતોના આશીર્વાદ મેળવશે. તેઓ મેળાના આકર્ષણ સમાન ‘ડમરૂ યાત્રા’માં પણ સહભાગી થશે. આ વખતે મેળામાં ટેકનોલોજીનો ઉપયોગ કરી ભવનાથની આરતીનું લાઈવ પ્રસારણ દેશ-વિદેશના ભક્તો માટે કરવામાં આવશે, જેના માટે ખાસ વેબસાઈટ પણ તૈયાર કરવામાં આવી છે. હર્ષ સંઘવી મેળાના અંતિમ દિવસે શાહી રવેડીના દર્શન કરવા માટે પણ ખાસ હાજર રહેશે. સમગ્ર મેળા વિસ્તારમાં સીસીટીવી કેમેરા દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.



































































































































