ગુજરાતવાસીઓને આગામી દિવસોમાં કાળઝાળ ગરમીમાંથી કોઈ રાહત મળવાની શક્યતા નથી. હવામાન વિભાગની આગાહી મુજબ 10 મે સુધી રાજ્યમાં મહત્તમ તાપમાન ઊંચું જ રહેશે અને પારો 40 થી 42 ડિગ્રી આસપાસ રહેવાનો અંદાજ છે. મધ્ય ગુજરાતમાં તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં પણ ગરમીનો પ્રભાવ યથાવત રહેશે અને તાપમાન 40 ડિગ્રી આસપાસ રહેવાનું પૂર્વાનુમાન છે.અમદાવાદમાં આજથી આગામી પાંચ દિવસ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મેટ્રોસિટીમાં તાપમાનનો પારો 42 ડિગ્રીથી પણ ઉપર જવાની શક્યતા દર્શાવવામાં આવી છે. ખાસ કરીને 9 મેના રોજ તાપમાન 45 ડિગ્રીને પાર પહોંચે તેવી શક્યતા હોવાથી લોકોમાં ચિંતાનો માહોલ છે. સતત વધતી ગરમીને કારણે જનજીવન પર પણ તેની અસર જોવા મળી શકે છે અને હવામાન વિભાગે લોકોને જરૂરી તકેદારી રાખવાની સલાહ આપી છે.